CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવિજ્ઞાનિક હિલગાર્ડ, એટકિન્સન અને એટકિન્સનના મત મુજબ 20 મી સદીનો યુગ ‘ચિંતાનો યુગ’ બન્યો.
ચિંતાના આ યુગમાં સમાજમાં તીવ્ર મનોભાર, હતાશા, અર્થશૂન્યતા વગેરે વ્યાપક સમસ્યાઓ સર્જાઈ.
આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે સમાજનો મોટો વર્ગ ધર્મ, ધ્યાન, સંકીર્તન, યોગ વગેરે તરફ વળ્યો, જ્યારે સમાજના કેટલાક યુવાનો આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે કૅફી પદાર્થો અને ઔષધોના સેવનના માર્ગો તરફ વળ્યાં.
અર્થશૂન્યતાની દશામાંથી બહાર આવવા માટે સમાજની વ્યક્તિઓએ એવા માર્ગો અપનાવ્યા જેના પરિણામે ચેતનાની અવસ્થા બદલાઈ જાય અને વ્યક્તિને રાહત, આનંદ અને શાંતિનો અનુભવ થાય.
સમાજની વધુ ને વધુ વ્યક્તિઓ જ્યારે ધ્યાન, સંમોહન કે ઔષધજનિત બદલાયેલી મનોદશાનો આશ્રમ લેવા લાગ્યા ત્યારે મનોવિજ્ઞાનિકોને ચેતનાની આ બદલાયેલી અવસ્થાઓ અંગે મનોવૈજ્ઞાનિક અભ્યાસો કરવાની જરૂર જણાઈ.
આમ, 20મી સદીના ઉત્તરાર્ધમાં મનોવિજ્ઞાનમાં ચેતનાની બદલયેલી અવસ્થાઓનો અભ્યાસ વિષય તરીકે પુનહ્પ્રવેશ થયો.
ચેતનાની વ્યાખ્યા : બ્રિટિશ તત્વચિંતક જ્હોન લૉકના મત મુજબ, “વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે. તેનું પ્રત્યક્ષીકરણ એ ‘ચેતના અવસ્થા’ કે ‘ચેતના’ છે.
અમેરિકન મનોવિજ્ઞાનિક વિલિયમ જેમ્સ ચેતનાને ‘વિચારોના પ્રવાહ’ તરીકે ઓળખાવે છે.
ચેતનાની કોઈ એક જ વ્યાખ્યા આપવી સરળ નથી. આમ છતાંં, મનોવિજ્ઞાનમાં નીચેની બે વ્યખ્યાઓ સૌથી વધુ પ્રચલિત અને સર્વસ્વીકૃત છે.
1. “વ્યક્તિનાં સંવેદનો,પ્રત્યક્ષીકરણો, વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતા એટલે ચેતના”
2. “ચેતના એટલે બાહ્ય ઉદ્દીપકો તેમજ આંતરિક પ્રક્રિયાઓ અંગેની વ્યક્તિની સભાનતા.”
ચેતનાની સમજૂતી : ચેતનાની ઉપરની વ્યાખ્યાઓના આધારે ચેતનાની સમજૂતી નીચે મુજબ છે.
બાહ્ય વાતાવરણ અને આંતરિક ઘટનાઓ અંગેની સભાનતા એ ‘ચેતના’ છે.
માનવી પોતાની પાંચ જ્ઞાનેંદ્રીયો દ્વારા વાતાવરણનાં વિવિધ ઊદીપકોનાં સંવેદનોનો અનુભવ કરે છે અને તે સંવેદનો વચ્ચેનો તફાવત પારખે છે. માનવી આંખની મદદથી દ્દષ્ટિ પ્રત્યકક્ષીકરણ દ્વારા વાતાવરણના વિવિધ પદાર્થોના રંગ, રૂપ, આકાર, ચળકાટ, ઉજ્જવળતા વગેરે જોઈ શકે છે. કાનની મદાદ્થી શ્રવણ પ્રત્યક્ષીકરણ દ્વારા નાના-મોટાં, પુરુષના-મહિલાના, વિવિધ વાદ્યોના અવાજ અને તેમની વચ્ચેનો ભેદ ઓળખી શકે છે. આ જ પ્રમાણે નાક, જીભ અને ચામડીની મદદથી ગંધ, સ્વાદ અને સ્પર્શ પ્રત્યક્ષીકરણ દ્વારા માનવી પોતાના આંતરિક મનોવિશ્વથી પણ સભાન બને છે. વ્યક્તિના પોતાના વિચારો, લાગણીઓ, આવેગો, પ્રેરણાઓ, આદર્શો, વગેરેથી પણ વ્યક્તિ સભાન હોય છે. વ્યક્તિ પોતાના ગમા-અણગમા, આસક્તિ-આકર્ષણ, ક્રોધ-વેરભાવ, સદ્દભાવ-દુર્ભાવ વગેરે જેવી ભાવનાત્મક બાબતોથી પણ સભાન બને છે. આમ, આંતરિક બાબતો અંગેની સભાનતા પણ ‘ચેતના’ છે.
પોતાના આંતરિક મનોવિશ્વને ‘દ્દષ્ટા’ તરીકે જોવાના માનવીના ચેતનાના સામર્થ્યને કારણે જ માનવી ચેતના ‘અહમ પ્રકાશક’ કહેવાય છે.
પ્રાણીઓ બાહ્ય વાતાવરણની સભાનતારૂપ ચેતના કરી શકે છે, પરંતુ પોતે જ પોતાને જોઈ શકે એવી ‘અહમ્ પ્રકાશક’ ચેતના પ્રાણીઓમાં હોતી નથી.
ક્યારેક, કોઈક અવસ્થામાં વ્યક્તિ કોઈ બાહ્ય કે આંતરિક વિશ્વથી સભાન હોતો નથી. આમ છતાં, વ્યક્તિ હોય છે. આ ‘હોવાપણા’ની સભાનતા પણ ‘ચેતના’ દર્શાવે છે.