CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્મરણ કે સ્મૃતિ આપણા મગજનુંં સૌથી મહત્વનું કાર્ય છે. સ્મરણ વિનાના જીવનની કલ્પના થઈ શકે નહિ.
સ્મરણ અભાવમાં કોઈ માનવી બેજા કોઈ પણ માનવીને ઓળખી જ ન શકતો હોત, આપણે ભાષા પણ ન શીખી શક્યાં હોત.
સ્મરણ વિના માનવીનો ઈતિહાસ ન હોત અને તેથી કોઈ કૌશલ્યો જ ન હોત, કારણ કે બધાજ જ્ઞાનનો આધાર સ્મરણ પર છે.
સ્મરણના અભાવે માનવી માત્ર શારીરિક ક્રિયાઓ સિવાય કશું જ કરી ન શક્તો હોત.
આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્મરણના અભ્યાસમાં બોધાત્મક અને માનસિક પ્રક્રિયા પર ભાર મુકે છે. પ્રત્યક્ષીકરણ, ધ્યાન, વિચારણા, સમસ્યા ઉકેલ જેવા બોધાત્મક પ્રર્કિયાઓમાં સ્મરણ અગત્યનો ભાગ ભજવે છે.
સ્મરણના અભ્યાસો સંચય અને પુનઃપ્રપ્તિ સાથે જોડાયેલી માનસિક પ્રક્રિયાઓ પર ભાર મૂકે છે. માનસિક પ્રક્રિયાઓ બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. બોધાત્મક પ્રર્કિયાઓનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન બોધાત્મક મનોવિજ્ઞાન’ તરીકે ઓળખાય છે.
સ્મરણ એક મનોવ્યાપર છે, એક પ્રક્રિયા છે. જે અર્થમાં બુદ્ધિ એક શક્તિ છે, તે અર્થમાં સ્મરણ એ શક્તિ નથી; પરંતુ મનોવ્યાપાર છે, માનસિક પ્રક્રિયા છે.
ભુતકાળમાં થઈ ગયેલા અનુભવોને અર્થમુક્ત રીતે વર્તમાનમં પુનઃજાગ્રત કરવાની પ્રક્રિયાને ‘સ્મરણ’ કહેવાય છે.
સ્મરણ એટલે પ્રાપ્ત થતી નવી માહિતીનો ભવિષ્યમાં પુનરાવહન કરવા માટે સંગ્રહ કરવાની પ્રર્કિયા.
મગજમાં સંગ્રહાયેલા અનુભવોનું વર્ણન કરવા માટે પણ ‘સ્મરણ’ શબ્દ પ્રયોજાય છે. આ અર્થમાં ‘સ્મરણ’ એટલે મગજમાં સંગૃહિત વિશિષ્ટ પૂર્વાનુભવનું પુનરાવહન કરવાની પ્રક્રિયા.
સ્મરણની વ્યાખ્યા : જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ આપેલી સ્મરણની વ્યાખ્યાઓ નીચે મુજબ છે :
1. બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ : “સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃજાગ્રત કરવાની પ્રર્કિયા.”
2. હિલગાર્ડ અને એટકિન્સન: “સ્મરણ કરવાનો અર્થ એ છે કે, વર્તમાન સમયમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેય શીખ્યા હતા.”
3. લોકમૅન અને બટરફિલ્ડ : “સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે, જેના દ્વારા વ્યક્તિને પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ઘારણ કરીને રાખે છે.”
4. વુડ વર્થ : “સ્મરણ એટલે શીખેલાનો સીધો ઉપયોગ.”
5. સી.ટી.મોર્ગન : “સ્મૃતિ એટલે માહિતીના સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રપ્તિની પ્રક્રિયા.”
મનોવિજ્ઞાનિકોએ સ્મૃતિના બે પાસા દર્શાવ્યા છે : 1. વિધાયક પાસું અને 2. નિષેધક પાસુ.
વિધાયક પાસું એટલે અર્થપૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા અને નિષેધાક પાસું એટલે અનુભવોને યાદ કરવાની અસમર્થતા. આમ નિષેધક પાસું એ ‘વિસ્મરણ’ છે.
સ્મરણની ત્રણ પ્રક્રીયાઓ છે. હિલગાર્ડ આ ત્રણ પ્રક્રિયાઓને સ્મરણના ત્રણ તબક્કાઓ ઓળખાવે છે. 1. સંકેતાંકન 2. સંગ્રહ કે સંચય 3. પુનઃપ્રાપ્તિ.
1. સંકેતાંકન : સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. જે માહિતી રજુ થાય અથવા જેનો અનુભવ થાય તેના તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો તે માહોતી કે અનુભવ સ્મરણમાં જમા થાય છે, આને ‘સ્થાપન’ કહેવાય છે. જોકે રજૂ થયેલી બધી જ માહિતી સ્મરણમાં જમા થતી નથી. સંકેતાંકન એ સંચયની પૂર્વશરત છે. સંકેતાંકન એટલે સાંવેદનિક નિવેશ. ગ્રહણ કરવાની અને તેને સાચવી શકાય એવા ચેતાકીય સંકેતમાં તેનું રૂપાંતર કરવાની પ્રક્રિયા.
2. સંગ્રહ કે સંચય : સંગ્રહ કે સંચય એ સ્મરણ પ્રર્કિયાનો બીજો તબક્કો છે. શીખેલી સામગ્રી કે પ્રાપ્ત થયેલા અનુભવોની સ્મરણમાં જાળવણી થાય તેને ‘સંચય’ કહેવામાં આવે છે. આને ‘ધારણ’ પણ કહેવાય છે. ધારણ માનવીના મોટા મગજમાં આવેલા સ્મૃતિક્ષેત્રોમાં થાય છે. જો સંકેતાંકન બરાબર ન હોય, તો સંચય થવાની શક્યતા ભાગ્યેજ રહે છે. શીખેલી સામગ્રી કે પ્રાપ્ત અનુભવમાંથી તાત્કાલિક વિસ્મરણ થતાં લાંબા ગાળાની સ્મૃતિ માટે બાકી રહેલી બાબતોને ‘સંચય’ કહેવાય છે. બર્નહાર્ટ સંચયને ‘એક લાંબી વિશ્રામ અવસ્થા’ ગણે છે. સંચય એ શિક્ષણ અને પુનઃપ્રાપ્તિ વચ્ચેની માહિતીની કડી છે.
3. પુનઃપ્રાપ્તિ : સ્મરણની પ્રર્કિયાનો આ છેલ્લો તબક્કો છે. સંચયમાં રહેલી સામગ્રી કે અનુભવને ફરી મેળવવાની ક્રિયાને ‘પુનઃપ્રાપ્તિ’ કહેવામાં આવે છે. તેને ‘પુનરાવહન’ પણ કહેવાય છે. પુનઃપ્રાપ્તિ પ્રયત્નથી થાય છે. આથી તે ‘સકૃય પ્રક્રિયા છે. તત્પરતા, સ્વસ્થતા અને સહચર્ય જેવાં વિધાયક પરિબળો પુનઃપ્રાપ્તિ માટે ઉપકારક છે.
ટૂંકમાં, પ્રથમ માહિતીનું સંકેતાંકન થાય, પછી અમુક સમય સુધી માહિતીનો સંગ્રહ થાય; અને પછી માહિતી પુનઃપ્રાપ્તિ થાય છે.
સ્મરણના મનોવ્યાપારમાં જોવા મળતી આ ત્રણ પ્રર્કિયાઓ એક-બીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી હતી અને સમયની દ્દષ્ટિએ ઉદ્દભવતી પ્રક્રિયાઓ છે.