CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજશાસ્ત્ર સમાજની વિવિધ પરિસ્થિતિ કે ઘટનાઓના અભ્યાસ માટે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્વતિઓન ઉપયોગ કરે છે.
સામાજિક સંશોધનનાં સોપાનો : સામાજિક સંશોધનમાં સામાજિક પ્રશ્નોનો અભ્યાસ કરવા માટે નીચેનાં સોપાનોનો ક્રમશ: ઉપયોગ થાય છે :
1 સંશોધન વિષયની પસંદગી :
કોઈ પણ સામાજિક સંશોધન કાર્ય માટે સૌપ્રથમ વિષયની પસંદગી કરવી એ ખૂબ અગત્યની બાબત છે. કેમ કે, વિષયની પસંદગી વિના સંશોધન કાર્ય શક્ય બનતું નથી. સંશોધનનાં જુદાં જુદાં ક્ષેત્રોનો સર્વાંગી દ્વષ્ટિએ વિચાર કરી, તેમાંથી કોઈ એક વિષયની પસંદગી ચોક્કસાઇપૂર્વક કરવી જોઈએ. દા. ત., ગુજરાતમાં મહિલા અને પુરુષના જાતિ પ્રમાણની સમસ્યા.
2 સંશોધન આયોજન :
વૈજ્ઞાનિક પદ્વતિથી સંશોધન કરવા માટે સંશોધકે પદ્વતિસરનું આયોજન કરવું જરૂરી છે. આયોજન એ સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું તાર્કિક અને આયોજિત સાધન છે. સામાજિક ઘટનાઓ જટિલ હોવાના કારણે સંશોધકનું ચોક્કસ અને ચુસ્ત આયોજન ભાગ્યે જ શક્ય બને છે. કારણ કે, સંશોધક જેમ સંશોધન કરતા જાય તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. આમ, સંશોધન પૂર્વે કરવામાં આવેલું આયોજન એ માત્ર કામચલાઉ અને દિશા નિર્દેશ કરનારું છે.
સામાજિક સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના હોય છે : (1) સંશોધકે ક્યારથી સંશોધન કાર્યની શરૂઆત કરવી, (2) સંશોધનનું કાર્યક્ષેત્ર નક્કી કરવું, (3) માહિતી એકત્રિત કરવા માટે કઈ પદ્વતિ અપનાવવી અને (4) સંશોધકે પસંદ કરેલા વિષય પર જો ભૂતકાળમાં કોઈ સંશોધન થયું હોય, તો તેનાથી સંબંધિત સંદર્ભ-પુસ્તકો, લેખો, સામયિકો, અધ્યયન-અહેવાલો વગેરેનો અભ્યાસ કરવો. વગેરે જેવી બાબતો સંશોધનના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
3 ઉપકલ્પનાનું નિર્માણ :
ઉપકલ્પના નક્કી કરવી એ સંશોધનનું પાયાનું સોપાન છે. કેટલાક વિદ્વાન સમાજશાસ્ત્રીઓ ઉપકલ્પનાના નિર્ણયને સ્વતંત્ર સોપાન તરીકે સ્વીકારતા નથી. ઉપકલ્પના એ વાસ્તવિક ઘટનાનાં સત્યો અથવા હકીકતો વચ્ચેના સહસંબંધ અંગે કામચલાઉ ધારેલું વિધાન છે કે, જે વિધાનની સત્યતા ચકાસવાની બાકી છે. ઉપકલ્પનાના નિર્માણ માટે સંશોધક ભૂતકાળમાં આ જ પ્રકારની બનેલી ઘટનાના નિર્માણ સાથે જોડાયેલા અને ઘટના માટે કારણભૂત મનાતાં પરિબળોને અલગ તારવે છે. આ પરિબળોની વચ્ચેના સહસંબંધ માટે પ્રશ્નરૂપ વિધાન કરે છે. આ પ્રશ્નરૂપ વિધાન એટલે ઉપકલ્પના. ઉપકલ્પનાને સંશોધન પ્રક્રિયા દરમિયાન ચકાસવામાં આવે છે. દા. ત., જો મહિલા ભ્રુણહત્યાનો દર વધે તો મહિલાઓની સંખ્યામાં ઘટાડો થાય.
4 માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી :
સામાજિક સંશોધનનું આ અગત્યનું સોપાન છે. માહિતી એકત્રીકરણની આ પ્રયુક્તિ દ્વારા જ સંશોધકે પોતાના સંશોધન પ્રશ્ન અંગેની માહિતી ભેગી કરવાની છે અને ભેગી કરેલી માહિતીના આધરે જ ઉપકલ્પનાની ચકાસણી કરવાની છે. ઉપકલ્પનાની ચકાસણી માટે ચોક્કસ, આધારભૃત અને વિશ્વનીય માહિતી ભેગી થાય એ અત્યંતા જરૂરી છે. આ માટે સંશોધકે સંશોધનનું અભ્યાસક્ષેત્ર, માહિતી પ્રાપ્તિમાં સ્થાનો, માહિતીનું સ્વરૂપ અને કદ વગેરેને જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિમાંથી પોતાની જરૂરિયાત મુજબની પ્રયુક્તિ પસંદ કરવાની હોય છે.
5 માહિતીનું એકત્રીકરણ :
સંશોધકે નક્કી કરેલી ઉપકલ્પનાની ચકાસણી માટે સંશોધન હેઠળની ઘટના વિશે માહિતીને એકત્રિત કરવે જરૂરી છે. જ્યાં સુધી સંશોધન ઉપકલ્પનાની ચકાસણી ન કરે ત્યાં સુધી વિજ્ઞાન તેની યથાર્થતા સ્વીકારતું નથી. એકત્રિત કરેલી માહિતીના આધારે સંશોધકે ઉપકલ્પનાની યથાર્થતા સાબિત કરવાની હોય છે. આ સાબિત કરવાંનો આધાર સંશોધકે પસંદ કરેલી માહિતી, એકત્રીકરણની પ્રયુક્તિ દ્વારા તટસ્થ રહીને માહિતી એકત્રિત કરવાનો છે.
6 માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ :
ઉત્તતદાતાઓ પાસેથી માહિતી એકત્રિત કર્યા પછી આ માહિતીનું ચોક્કસ રીતે વર્ગીકરણ અને પૃથકરણ કરવામાં આવે છે. માહિતીને અર્થપૂર્ણ બનાવવા સંશોધક મેળવેલી માહિતીને તારિક સંબંધના આધારે પરસ્પર જોડે છે. કોઈ પણ છુટીછવાઇ માહિતીના આધારે કોઇ વૈજ્ઞાનિક સિદ્વાંત અથવા તારણ સાબિત કરીએ શકાય નહી. આથી સંશોધક સમાનતા કે વિભિન્નતાના આધારે માહિતીનું વર્ગીકરણ કરે છે. એકત્રિત કરેલી માહિતીના વર્ગીકરણ માટે ઉંમર, જાતિ, શિક્ષણ આવક, વૈવાહિક દરજ્જો, જ્ઞાતિ, ધર્મ, માન્યતાઓ વગેરે વિભાગો નક્કી કરી, માહિતીને વિવિધ રીતે વર્ગીકૃત કરી, તે અંગેના કોઠાઓ તૈયાર કરવામાં આવે છે. આધુનિક સમયમાં માહિતીના વર્ગીકરણ અને પૃથક્કરણ માટે કમ્પ્યૂટરની મદદ લેવામાં આવે છે. દા. ત., ઉપર્યુક્ત સંશોધનમાં જાતિ, ધર્મ, વૈવાહિક દરજ્જો, જ્ઞાતિ વગેરે બાબતોનું વર્ગીકરણ કરી શકાય.
7 સંશોધનનાં તારણો અને સામાન્યીકરણ :
સામાજિક સંશોધનની પ્રક્રિયાનું આ અંતિમ સોપાન છે. એકત્રિત માહિતીને તાર્કિક રીતે ગોઠવી તેનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થગઘટન દરમિયાન અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનો હોતો નથી, પરંતુ માહિતીના વર્ગીકરણ અને પૃથ્થકરણના આધારે જુદી જુદી માહિતી વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા મેળવવામાં આવે છે અને તેના પરથી હકીકતો વિશે વિધાનો રજૂ કરવામાં આવે છે. આવાં વિધાનો એટલે તારણો. સામાજિક સંશોધન અંગે નક્કી કરેલી ઉપકલ્પનાને સમર્થન મળે છે કે નહી તે તારણના આધારે નક્કી થાય છે. જો ઉપકલ્પનાને આ સંશોધનનાં તારણો દ્વારા સમર્થન મળે, તો તેના આધારે સિદ્વાંત તારવવામાં આવે છે. સંશોધક કોઇ પણ ઘટના વિશે જે તારણો રજૂ કરે એ તારણો માત્ર આ જ ઘટનાને લાગુ પડતા હોય તેવું નથી, પરંતુ આ ઘટના અને તેને સમાન અન્ય તમામ ઘટનાઓને પણ લાગુ પડતા હોય છે. જેમાં તારણોની રજૂઆત કરવામાં આવે તેને ‘સંશોધન અહેવાલ’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘સામાન્યીકરણ’ કહેવામાં આવે છે. આ સામાન્યીકરણમાંથી અસ્તિત્વમાં આવે છે.