CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. શરીરના માળખાની જેમ સમગ્ર સમાજનું પણ માળખું હોય છે, જેને ‘સામાજિક વ્યવસ્થા’ કહેવામાં આવે છે.
સામાજિક વ્યવસ્થાનો અર્થ :
સમાજની રચના બે કે તેથી વશુ એકમોની આંતરક્રિયા અને આંતરસંબંધો દ્વારા થાય છે. આ આંતરક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતાં તેમાંથી વર્તન નક્કી કરતાં ધોરણો અસ્તિત્વમાં આવે છે, જેને ‘સામાજિક વ્યવસ્થા’ કહે છે.
સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા :
એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલા એક જટિલ સંકુલ ને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે.
સમાજશાસ્ત્રી સોરોકિનના મત મુજબ, “સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે, જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરનાં વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેનાં વર્તન સ્થાપિત કરતાં સામાજિક ધોરણોનું સંકુલ ધરાવે છે.”
લક્ષણો :
1 સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા :
માનવીની સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે સામાજિક વ્યવસ્થાએ લાબાં સમય સુધી સ્થિરતા રાખવી જરૂરી છે. દરેક સામાજિક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે. આથી જ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા ટકેલી રહે છે.
2 વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન :
સામાજિક વ્યવસ્થાની રચના માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોના ભાગનું જોડાણ જરૂરી છે. કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી, પતિ-પત્ની, ભાઇ-બહેન વગેરે સામાજિક દરજ્જાઓ એકબીજા સાથે જોડાઇને ‘કુટુંબ’ની એક સામાજિક વ્યવસ્થા બને છે. બધાં સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર આધારિત છે. આમ, સંસ્થા કે સામાજિક સમૂહના એકમોનું જોડાણ એ ‘સામાજિક વ્યવસ્થા’ નું અગત્યનું લક્ષણ છે.
3 સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન :
દરેક સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે. આ સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામે છે. સામાજિક તંત્રને પોતાની સામાજિક વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. પરિણામે પરિવર્તન ઉદભવે છે.